કુદરતના કાયદા અને માનવના નિયમો

કોઈ પણ પ્રક્રિયાને ચલાવવા માટે તે જે રીતે તે ચાલશે તેને આપણે નિયમ કહીએ. અને જો આ નિયમ બિલકુલ બદલી ના શકાય એમ હોય તો આપણે તેને કાયદો કહીએ. એટલે કે નિયમમાં ફેરફાર શક્ય છે, કાયદામાં નહિ. વળી, દરેક કાયદો એ નિયમ છે પણ નિયમ એ કાયદો નથી.

સામાન્ય વ્યવહારમાં સારા સંચાલન માટે આપણે નિયમો બનાવીએ. અને તે નિયમોને આપણે બદલાતી પરિસ્થિતિ મુજબ બદલીએ પણ ખરા. અને નિયમોમાં ફરજ ના હોય પણ સમજદારી હોય. જો ફરજ આવે તો તે કાયદો બની જાય.

આપણે મોટે ભાગે બધા કોઈ ને કોઈ રમતો રમીએ છીએ. ક્રિકેટ બધાને ખબર છે. આ ક્રિકેટ રમવાના ચોક્કસ નિયમો છે. ૬ બોલની એક ઓવર, ૧૧ ખેલાડીઓ. અને તેવા બધા. પણ આપણે બધા જ જાણીએ છીએ કે ગલીમાં પણ છોકરાઓ ક્રિકેટ રમે અને તે ગલી મુજબ અને ખેલાડીઓની સંખ્યા મુજબ તેઓ પોતે નિયમો બનાવે. આ ઘરની સરહદ બહાર ૪ રન, પેલી દિવાલ ને અડે તો ૨ રન, ૧ ટપ્પીએ કેચ આઉટ. પેલી બારીને અડે તો આઉટ. કોઈની છત ઉપર જાય તો આઉટ. આવી દરેક રમતો વિચારી જાઓ. આ બધી રમતોના પોતાના નિયમો હોય અને તેઓ જરૂર મુજબ તેને બદલે. દરેક ઘરમાં ઘરની અંદર રહેલી વસ્તુઓ કે સગવડો મુજબ બધા નિયમ બનાવે. જેવું કે ડોયા વડે પાણી લેવું. પાણી પીને પ્યાલો અહી મુકવો. સ્કુટર અહી પાર્ક કરવું. વપરાશ ના હોય તો લાઈટ-પંખાની સ્વીચો બંધ કરી દેવી. તારાં કપડા આ કબાટમાં અને મારાં કપડાં આ કબાટમાં રાખવા; ધોવાના કપડાં અહી મુકવા; ચંપલ પહેરીને કોઈએ ઘરમાં આવવું નહિ. બુટ ચંપલ અહી કાઢવા. વગેરે વગેરે. તેવા જ સંસ્થાના નિયમો હોય. એક શાળાને લઇ લો. શાળા ૧૦.૩૦ ચાલુ થશે; બધાએ તેમની સાયકલો અહી પાર્ક કરવી; ૩ રિશેષ પડશે; દરેક વર્ગમાં એક મોનીટર હોય; એક ક્લાસમાં વધુમાં વધુ અમુક સંખ્યામાં બાળકો ભણાવવા; ૧ પીરીયડ આટલા સમયનો. આવું દરેકે દરેક જગ્યાએ હોય જ. નિયમ વગર કશું જ નથી. પણ ક્યાં નીયમ હોય અને ક્યાં કાયદો હોય તે જોવું પડે. માનવ નિયમ બનાવનાર છે. કાયદા નહિ. કાયદો બનાવવાની સત્તા માત્ર કુદરત પાસે છે પણ માનવ પોતે નિયમો બનાવીને પછી તેને કાયદામાં પરિવર્તિત કરે છે. વાસ્તવમાં માનવને પોતાની રીતે સંચાલન માટે નિયમોની અને તે નિયમોની સમજદારીની જરૂર છે. જરૂર છે સમજદારીપૂર્વક તેનું પાલન થાય તેની નહિ કે કાયદાની. કુદરતના કાયદાના ક્ષેત્રમાં માનવે પોતાના સંચાલન માટે પ્રથમ કુદરતના બધા નિયમો-કાયદાઓ સમજીને તેનું પાલન કરવું, તેને માન આપવું. અને ત્યાર બાદ જીવનને સારી રીતે ચલાવવા આ કુદરતના કાયદાને અનુકુળ હોય તેવા પોતાના નિયમો બનાવી તેને સમજદારીપૂર્વક ચલાવવા જોઈએ. આપણે કાયદાના સર્જક ક્યારેય છીએ નહિ અને થઇ પણ ના શકીએ. આપણે માત્ર સામાન્ય નિયમો બનાવી શકીએ. આપણા હાથમાં તેટલું જ છે. સારું માનવ જીવન સમજદારીથી, કુદરતના કાયદાનું પાલન કરવાથી અને માનવે જે તે સ્થળ અને જરૂરિયાત મુજબ બનાવેલા નિયમોને સમજદારીથી અનુસરવાથી શક્ય બની શકે. કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સંસ્થા હોય, ત્યાં કુદરતના નિયમો તો લાગુ પડવાના જ છે. તેથી તેને અવગણીને આપણે કોઈ પણ નિયમ બનાવીએ એટલે સમજો કે આપણે આપણા માટે મુશ્કેલી જ વધારવાના છે. 

જે તે સ્થળ અને પરિસ્થિતિ મુજબ સામાન્ય જીવનના આવા નિયમોના આધારે આપણે જેવી રીતે જીવવા લાગીએ અને વર્ષો સુધી આ નિયમો જયારે કોઈ એક જનસમુદાય જીવવા લાગે ત્યારે આપણે તેને પરમ્પરા કે સંસ્કૃતિ કહીએ. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તેમને સૌ પ્રથમ માનપૂર્વક ઘરમાં અંદર બોલાવવા, આદરથી બેસવાની જગ્યા આપવી અને પછી પાણી આપવાનો નિયમ છે. જેને તમે પરંપરા કહો. અથવા એમ કહો કે આ અમારી સંસ્કુતિ છે. આ નિયમોને સમજો તો તેના મૂળમાં એક સારા માનવજીવનની રચના કરવાની કોશિશ છે. આ નિયમ છે કાયદો નહિ. ક્યારેક એવું બને કે કોઈ ઉતાવળમાં હોય તો આપણે તેમને પાણી આપવાનું ચુકી જઈએ અથવા અંદર આવવાની જગ્યાએ બહાર ઉભા ઉભા જ વાત કરીને ચાલ્યા જાય અને તે કોઈ ખોટી વાત ના કહેવાય. કેમ કે આ કાયદો નથી પણ નિયમ છે અને નિયમ સમજદારી પર ચાલે, આંતરિક સમજણથી ચાલે.

કુદરત આખું ખુબ ચોક્કસ નીયમોથી ચાલે છે અને આ નિયમો મોટે ભાગે નિશ્ચિત છે એટલે કે તેમાં કોઈ ફેરફાર શક્ય નથી. મતલબ કે તે બધા જ કાયદા છે. જેને આપણે કુદરતના કાયદા કહીએ. આપણે બધા તે નિયમોથી સંચાલિત છે અને બંધાયેલા છીએ. આપણે તે કાયદાઓ મુજબ જ ચાલવું પડે. પાણી એ જીવન માટે મુખ્ય આધારસ્તંભ છે તો બધાએ પાણી પીવું જ પડે. આ કાયદો છે. વગર પાણીએ તમે કેટલું જીવી શકો? ભોજન તરીકે આપણે કાર્બનિક પદાર્થો જ લઈએ છીએ. અકાર્બનિક પદાર્થ ભોજન તરીકે ના ચાલી શકે. શરીરમાં આ જ કાર્બનિક પદાર્થોમાં સંગ્રહેલી ઉર્જાનું દહન થવાથી આપણા શરીરને ઉર્જા મળે છે. અને તેનું દહન કરવા માટે ફરજીયાત ઓક્ષિજન જરૂરી છે અને તેથી આપણે ઓક્ષિજન શરીરમાં લેવો જ પડશે. આ કાયદો છે. કાયદાનો ભંગ અને જીવનનો અંત. 
 
જે જન્મે છે તે મરે જ. આ કાયદો છે. નિયમ એ સમજણ છે અને કાયદો એ નિશ્ચિત છે. નિયમો કોઈ કેવા પણ બનાવી શકે. નિયમો બદલી શકાય. કાયદા નહિ. નવા નિયમો બનાવી નવી રીતે કશું કરી શકાય. કાયદો બદલી ના શકાય અને કાયદાથી વિરુધ જવાની કોશિશ શક્ય જ ના બને અથવા ભારે નુકશાન કરાવે. કુદરતની બધી જ વસ્તુઓ નિશ્ચિત છે. ધ્વની તરંગો, પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણ અને તેવી લાખો વસ્તુઓ. કુદરતમાં ઘણા બધા કાયદા છે અને બધા જ કાયદાને પોતાનું સ્થાન છે, જેને જ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એ બીજું કંઈ નથી પણ આ કુદરતના નિયમોનું જ્ઞાન છે. આવા એક કે વધારે નિયમનો ઉપયોગ કરીને તેના વડે કોઈ ચોક્કસ કાર્ય કરવું તેને કહેવાય તકનીક ( Technology ). કુદરતનો  એક કાયદો છે ગુરુત્વાકર્ષણ. તેના મુજબ પૃથ્વી હમેશા દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે જ. પરંતુ બીજા કાયદા કે વિજ્ઞાનનો  ઉપયોગ કરીને આપણે ગુરુત્વાકર્ષણ હોવા છતાં હવામાં સફર કરવાની તકનીક વિકસાવી. પણ તેનો મતલબ તે નથી કે ગુરુત્વાકર્ષણ ખતમ થઇ જાય છે. જયારે આપણે પેલા બીજા કાયદાઓ(તકનીક)ને બરાબર ના અનુસરી શકીએ શકીએ ત્યારે આપણું વિમાન હવામાંથી સીધું જ જમીન પર આવી પડે. તે બતાવે છે કે ગુરુત્વાકર્ષણ તો હતું જ. કોઈ અમર એટલે કે મરણ રહિત નથી. અશ્વત્થામા અને બીજા ૨-૩ જણ વિશે કહેવાય છે કે તેઓ અમર થઇ ગયા એટલે કે તેમનું મૃત્યુ થયું જ નથી. જેનો કોઈ પુરાવો નથી. અને માની પણ લઇએ કે તેઓ અમર થઇ ગયા તો આ આજ દિન સુધી અબજો માનવો જનમ્યા અને મરી ગયા તો તેમાં આ ૨-૩ અપવાદ જે કુલ સંખ્યાના ૦.૦૦૦૦૦૦૦૦૧% પણ ના થાય. તેની શું કિંમત? વળી, તે બધા જ જન્મ્યા હતા. તમે જેને ભગવાન માનો છો તે બધા જ (મહામાનવો) જન્મ્યા અને મૃત્યુ પામ્યા છે. તો આ કાયદા પૂર્ણપણે નિશ્ચિત છે તે સમજાય છે.

આપણે કુદરતના કાયદાની અંદર જીવીએ છીએ અને તે સત્ય ક્યારે પણ બદલી શકાય તેમ નથી તો આપણે તેને સ્વીકારવું જ રહ્યું અને માનવ આ નિયમોને જેટલી ચોકસાઈથી સમજી શકે અને તેને સ્વીકારીને તેને અનુરૂપ જીવન બનાવી શકે તેટલું જ માનવના હિતમાં છે. કુદરતના કાયદાની અંદર આપણું જીવન છે અને તેમાં જીવતા આપણા માટે, કોઈ પણ વસ્તુ માટે માનવે બનાવેલો કાયદો ત્યારે જ જરૂરી બને જયારે સમજદારી નાશ પામે. નિયમો હોવા જ જોઈએ. નીયમો હમેશા જ જરૂરી વસ્તુ છે પરંતુ કાયદા નહિ. નિયમ સ્વૈચ્છીક હોય, કાયદો એ ફરજીયાત અને દંડ પર આધારિત હોય. અને માનવની સમજદારી નાશ પામે તો કાયદો પણ શું? સમજદારી વગર કાયદાઓ શું સારું માનવજીવન બનાવી શકે? ક્યારેય નહિ. માનવ કાયદા બનાવે તો સમજવું કે મૂર્ખતાની શરૂઆત થઇ. અને જે હાલમાં છે. માનવે બનાવેલા બધા જ કાયદાની અંદર તે પોતે જ છટકબારીઓ બનાવશે. માનવ નિર્મિત કાયદાઓથી શું સમસ્યાઓ હલ થઇ ગઈ કે કાબુમાં આવી? અરે, સમસ્યાઓ તો કાબુમાં નથી જ આવી પરંતુ જીવનના ગૂંચવાડા અનેકગણા વધી ગયા. વળી, કાયદાનો ઉપયોગ કહેવાતી રીતે સુવ્યવસ્થિત સંચાલન માટે બનાવ્યા છે તેમ તમને કહેવામાં આવે. પણ ખરેખર? ના. કાયદાનો મોટે ભાગે ઉપયોગ કેટલાક લોકો પોતાના હાથમાં સત્તા રાખીને બીજાઓને કાબુમાં રાખવા અને પોતાની ઈચ્છા મુજબ બધાને ચલાવવા એટલે કે તેમને ગુલામ બનાવવા માટે જ વાપરે છે. કોઈ એક વ્યક્તિ એમ કહે કે કાલથી આ વસ્તુ આ રીતે જ ચાલશે એટલે કે કાલથી તેની વિરુધ જે કરે તે બધા જ ગુનેગાર. કાલથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો કોઈ કામની નહિ, બસ આટલું કહેવું પુરતું છે. આ માત્ર સમજવા માટે એક ઉદાહરણ છે. આવા હજારો ઉદાહરણ મળી શકશે. સાર તરીકે, માનવ નિર્મિત કાયદો એટલે સમજદારીનો નાશ, મૂર્ખતા અને ગુલામીની શરૂઆત.

આજના સમયમાં જુઓ તો એક વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધારે સંપત્તિ ભેગી કરીને બેઠો છે અને બીજો ખુબ સામાન્ય જીવન માટેની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં પણ નિષ્ફળ જાય છે તેવા સમયમાં તે શું કરશે? તે પેલા ભેગું કરીને બેઠેલા વ્યક્તિના ઘરમાંથી પોતાની જરુરીયાત પૂરી કરવા માટે કોશિશ કરશે. અને આપણે માનવ કાયદાની ભાષામાં તેને ગુનેગાર કહીશું તેને પકડીને તેને સજા આપવાની કોશિશ કરીશું. તમને આ બરાબર લાગે છે? હા, લાગશે જ. હવે સમજીએ અહી શું ખોટું છે. આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે આપણે એક વ્યક્તિની સામાન્ય જરૂરિયાત પૂરી કરવામાં અક્ષમ બન્યા અને ત્યારે તે વ્યક્તિને નાછૂટકે પોતાના જીવનને બચાવવા માટે ચોરીનો સહારો લેવો પડ્યો.


આ નાનો વીડિઓ આ વાતને સમજવા પુરતો છે. https://youtu.be/luB9FYIPgNI

આજે પણ જુઓ તો કેટલાય એવા કુટુંબો છે જેમની પાસે ૧૦૦૦ એકર કે તેથી ઘણી વધારે જમીન છે. માનવે બનાવેલા કાયદામાં તેમને તે વારસામા મળેલી છે. અને કેટલાય એવા પરિવારો છે જેમાં ૧૦ સભ્યો હોય વારસામાં ઝાઝી સંપત્તિ ના હોય, વર્ષોથી ખેતી જ તેમનો મૂળ વ્યવસાય હોય અને માત્ર ૧ એકર જેટલી જ જમીન હોય. આવું કેવી રીતે? હવે કદાચ સમજાશે કે માનવ કાયદો બનાવે એટલે મૂર્ખતાની શરૂઆત શરુ થઇ. કાયદો જેટલો ન્યાય કરવા માટે વપરાય છે તેના કરતા અનેકગણો અન્યાય પેદા કરવામાં કે અન્યાયને ઉભો રાખવામાં વપરાઈ રહ્યો છે. ૯૦% ચોર પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ચોરી કરે છે અને ૧૦% જેઓને વારસામા ચોરી કરવાનું મળ્યું છે, માનસિક બીમાર જેવા છે કે સફેદ ચોર (રાજકારણીઓ અને તેમના જેવા બીજા) છે અને તેઓ જરૂરિયાત પૂર્તિ કરતાં બીજા મક્સત માટે ચોરી કરે છે. સમાજમાં પહેલાં પેલા ૯૦% ચોર લોકો અને તેવા બીજા જરૂરિયાતમંદ લોકો કે જેઓ જરૂરિયાત પૂર્તિ ના થાય તો પણ ચોરી નથી કરતા તેવા લોકોના જીવન વ્યવસ્થિત ચાલે તે માટે વ્યવસ્થા કરાય અને ત્યાર બાદ પેલા ૧૦% વારસાઈ ચોર અને બીજા પેલા સફેદ ચોર લોકોની માનસિક બીમારી ઠીક કરવા તેઓમાં સમજદારીના બીજ રોપાય.

માનવે હજારો કાયદાઓ અને તેની તેટલી જ છટકબારીઓ બનાવી છે. અને માત્ર આ માનવના કાયદાઓનો અભ્યાસ કરવા માટે ઘણા વર્ષો અભ્યાસ કરીને જેઓ કાયદાના નિષ્ણાત થાય છે તેઓ પણ કાયદાઓને પુરા જાણતા નથી તો સામાન્ય માણસનું શું? દરેક માનવ કાયદાથી પરિચિત હોવો જોઈએ. અહીં તો મૂળ કાયદાના નિષ્ણાત લોકો જ કાયદો ના જાણતા હોય ત્યાં સામાન્ય માણસનું શું? શું આ છે બુદ્ધિપૂર્વકની માનવ વ્યવસ્થા? વળી, કાયદા અને કાયદાની છટકબારીઓ વડે આપણે આખી વ્યવસ્થાને પાર વગરની ગૂંચવી નાંખી છે ને હજુ પણ ગૂંચવાતા જઈએ છીએ. એક ભૂલને સુધારવા બીજી ભૂલ અને તેને સુધારવા ત્રીજી અને તેને સુધારવા ચોથી તેવી અનેકગણી મોટી હારમાળા સર્જી છે. જીવનને સરળ બનાવવું તે મક્સત છે કે ગુચવવું તે? શું તેનાથી સારું માનવજીવન બન્યું? શું તેનાથી ચોરી અટકી? ના, જેટલા કાયદા વધ્યા છે તેટલા જ ગુના વધ્યા છે. જીવન સરળ બનાવવાના દેખાડા હેઠળ તેને હદ વગરનું ગૂંચવી નાંખ્યું છે. શું આ છે આપણા જીવનનો હેતુ?

કુદરતના કાયદાની અંદર સારા માનવજીવન માટે આપણે સામુહિક સમજદારીની જરૂર છે. નહિ કે માનવસર્જિત કાયદાઓની. સારું જીવન સમજદારીથી શક્ય બને કાયદાથી નહિ.


Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?