નિયમ, કાયદો અને સમજદારી

કોઈ પણ પ્રક્રિયાને ચલાવવા માટે તે જે રીતે તે ચાલશે તેને આપણે નિયમ કહીએ. અને જો આ નિયમ બિલકુલ બદલી ના શકાય એમ હોય તો આપણે તેને કાયદો કહીએ. એટલે કે નિયમમાં ફેરફાર શક્ય છે, કાયદામાં નહિ. વળી, દરેક કાયદો એ નિયમ છે પણ નિયમ એ કાયદો નથી.

સામાન્ય વ્યવહારમાં સારા સંચાલન માટે આપણે નિયમો બનાવીએ. અને તે નિયમોને આપણે બદલાતી પરિસ્થિતિ મુજબ બદલીએ પણ ખરા. અને નિયમોમાં ફરજ ના હોય પણ સમજદારી હોય. જો ફરજ આવે તો તે કાયદો બની જાય.

આપણે મોટે ભાગે બધા કોઈ ને કોઈ રમતો રમીએ છીએ. ક્રિકેટ બધાને ખબર છે. આ ક્રિકેટ રમવાના ચોક્કસ નિયમો છે. ૬ બોલની એક ઓવર, ૧૧ ખેલાડીઓ. અને તેવા બધા. પણ આપણે બધા જ જાણીએ છીએ કે ગલીમાં પણ છોકરાઓ ક્રિકેટ રમે અને તે ગલી મુજબ અને ખેલાડીઓની સંખ્યા મુજબ તેઓ પોતે નિયમો બનાવે. આ ઘરની સરહદ બહાર ૪ રન, પેલી દિવાલ ને અડે તો ૨ રન, ૧ ટપ્પીએ કેચ આઉટ. પેલી બારીને અડે તો આઉટ. કોઈની છત ઉપર જાય તો આઉટ. આવી દરેક રમતો વિચારી જાઓ. આ બધી રમતોના પોતાના નિયમો હોય અને તેઓ જરૂર મુજબ તેને બદલે. દરેક ઘરમાં ઘરની અંદર રહેલી વસ્તુઓ કે સગવડો મુજબ બધા નિયમ બનાવે. જેવું કે ડોયા વડે પાણી લેવું. પાણી પીને પ્યાલો અહી મુકવો. સ્કુટર અહી પાર્ક કરવું. વપરાશ ના હોય તો લાઈટ-પંખાની સ્વીચો બંધ કરી દેવી. તારાં કપડા આ કબાટમાં અને મારાં કપડાં પેલા કબાટમાં રાખવા; ધોવાના કપડાં અહી મુકવા; ચંપલ પહેરીને કોઈએ ઘરમાં આવવું નહિ. બુટ ચંપલ અહી કાઢવા. વગેરે વગેરે. તેવા જ સંસ્થાના નિયમો હોય. એક શાળાને લઇ લો. શાળા ૧૦.૩૦ ચાલુ થશે; બધાએ તેમની સાયકલો અહી પાર્ક કરવી; ૩ રિશેષ પડશે; દરેક વર્ગમાં એક મોનીટર હોય; એક ક્લાસમાં વધુમાં વધુ અમુક સંખ્યામાં બાળકો ભણાવવા; ૧ પીરીયડ આટલા સમયનો. આવું દરેકે દરેક જગ્યાએ હોય જ. નિયમ વગર કશું જ નથી. પણ ક્યાં નીયમ હોય અને ક્યાં કાયદો હોય તે જોવું પડે. માનવ નિયમ બનાવનાર છે. કાયદા નહિ. કાયદો બનાવવાની સત્તા માત્ર કુદરત પાસે છે પણ માનવ પોતે નિયમો બનાવીને પછી તેને કાયદામાં પરિવર્તિત કરે છે. વાસ્તવમાં માનવને જરૂર છે માત્ર પોતાની રીતે સંચાલન માટે પરીસ્થિતિ મુજબના નિયમો બનાવવા અને તે નિયમોની ઊંડાણપૂર્વકની સમજ. જરૂર છે સમજદારીપૂર્વક તે નીયમોનું પાલન થાય તેની, નહિ કે કાયદાની. કુદરતના કાયદાના ક્ષેત્રમાં માનવે પોતાના સંચાલન માટે પ્રથમ કુદરતના બધા નિયમો-કાયદાઓ સમજીને તેનું પાલન કરવું, તેને માન આપવું. અને ત્યાર બાદ જીવનને સારી રીતે ચલાવવા આ કુદરતના કાયદાને અનુકુળ હોય તેવા પોતાના નિયમો બનાવી તેને સમજદારીપૂર્વક ચલાવવા જોઈએ. આપણે કાયદાના સર્જક ક્યારેય છીએ નહિ અને થઇ પણ ના શકીએ. આપણે માત્ર સામાન્ય નિયમો બનાવી શકીએ. આપણા હાથમાં તેટલું જ છે. સારું માનવ જીવન સમજદારીથી, કુદરતના કાયદાનું પાલન કરવાથી અને માનવે જે તે સ્થળ અને જરૂરિયાત મુજબ બનાવેલા નિયમોને સમજદારીથી અનુસરવાથી શક્ય બની શકે. કોઈ પણ સ્થળ હોય, કોઈ પણ સંસ્થા હોય, ત્યાં કુદરતના નિયમો તો લાગુ પડવાના જ છે. તેથી તેને અવગણીને આપણે કોઈ પણ નિયમ બનાવીએ એટલે સમજો કે આપણે આપણા માટે મુશ્કેલી જ વધારવાના છે. 

જે તે સ્થળ અને પરિસ્થિતિ મુજબ સામાન્ય જીવનના આવા નિયમોના આધારે આપણે જેવી રીતે જીવવા લાગીએ અને વર્ષો સુધી આ નિયમો જયારે કોઈ એક જનસમુદાય જીવવા લાગે ત્યારે આપણે તેને પરમ્પરા ( tradition or fashion )  કે સંસ્કૃતિ કહીએ. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો તેમને સૌ પ્રથમ માનપૂર્વક ઘરમાં અંદર બોલાવવા, આદરથી બેસવાની જગ્યા આપવી અને પછી પાણી આપવાનો નિયમ છે. જેને તમે પરંપરા કહો. અથવા એમ કહો કે આ અમારી સંસ્કુતિ છે. આ નિયમોને સમજો તો તેના મૂળમાં એક સારા માનવજીવનની રચના કરવાની કોશિશ છે. આ નિયમ છે કાયદો નહિ. ક્યારેક એવું બને કે કોઈ ઉતાવળમાં હોય તો આપણે તેમને પાણી આપવાનું ચુકી જઈએ અથવા અંદર આવવાની જગ્યાએ બહાર ઉભા ઉભા જ વાત કરીને ચાલ્યા જાય અને તે કોઈ ખોટી વાત ના કહેવાય. કેમ કે આ કાયદો નથી પણ નિયમ છે અને નિયમ સમજદારી પર ચાલે, આંતરિક સમજણથી ચાલે.


કુદરત આખું ખુબ ચોક્કસ નીયમોથી ચાલે છે અને આ નિયમો મોટે ભાગે નિશ્ચિત છે એટલે કે તેમાં કોઈ ફેરફાર શક્ય નથી. મતલબ કે તે બધા જ કાયદા છે. જેને આપણે કુદરતના કાયદા કહીએ. આપણે બધા તે નિયમોથી સંચાલિત છે અને બંધાયેલા છીએ. આપણે તે કાયદાઓ મુજબ જ ચાલવું પડે. પાણી એ જીવન માટે મુખ્ય આધારસ્તંભ છે તો બધાએ પાણી પીવું જ પડે. આ કાયદો છે. વગર પાણીએ તમે કેટલું જીવી શકો? ભોજન તરીકે આપણે કાર્બનિક પદાર્થો જ લઈએ છીએ. અકાર્બનિક પદાર્થ ભોજન તરીકે ના ચાલી શકે. તેટલે જ આપણે  વનસ્પતિ પર આધારિત છીએ કે જે જમીનમાંથી અકાર્બનિક પદાર્થોને હવામાંના કાર્બન સાથે ભેળવીને જે કાર્બનિક પદાર્થ બનાવે છે તેને ગ્રહણ કરીએ છીએ. સીધી માટી કે કોલસો ખાઈને આપણે જીવી શકતા નથી. શરીરમાં આ જ કાર્બનિક પદાર્થોમાં સંગ્રહાયેલી ઉર્જાનું દહન થવાથી આપણા શરીરને ઉર્જા મળે છે. અને તેનું દહન કરવા માટે ફરજીયાત ઓક્ષિજન જરૂરી છે અને તેથી આપણે ઓક્ષિજન શરીરમાં લેવો જ પડશે. ઓક્ષિજન વગર આપણું જીવન શક્ય નથી. આ કાયદો છે. કાયદાનો ભંગ અને જીવનનો અંત.  


જે જન્મે છે તે મરે જ. આ કાયદો છે. નિયમ એ સમજણ છે અને કાયદો એ નિશ્ચિત છે. નિયમો કોઈ કેવા પણ બનાવી શકે. નિયમો બદલી શકાય. કાયદા નહિ. નવા નિયમો બનાવી નવી રીતે કશું કરી શકાય. કાયદો બદલી ના શકાય અને કાયદાથી વિરુધ જવાની કોશિશ શક્ય જ ના બને અથવા ભારે નુકશાન કરાવે. કુદરતની બધી જ વસ્તુઓ નિશ્ચિત છે. ધ્વની તરંગો, પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણ અને તેવી લાખો વસ્તુઓ. કુદરતમાં ઘણા બધા કાયદા છે અને બધા જ કાયદાને પોતાનું સ્થાન છે, જેને જ વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાન એ બીજું કંઈ નથી પણ આ કુદરતના નિયમોનું જ્ઞાન છે. આવા એક કે વધારે નિયમનો ઉપયોગ કરીને તેના વડે કોઈ ચોક્કસ કાર્ય કરવું તેને કહેવાય તકનીક ( Technology ). કુદરતનો  એક કાયદો છે ગુરુત્વાકર્ષણ. તેના મુજબ પૃથ્વી હમેશા દરેક વસ્તુને પોતાની તરફ ખેંચે જ. પરંતુ બીજા કાયદા કે વિજ્ઞાનનો  ઉપયોગ કરીને આપણે ગુરુત્વાકર્ષણ હોવા છતાં હવામાં સફર કરવાની તકનીક વિકસાવી. પણ તેનો મતલબ તે નથી કે ગુરુત્વાકર્ષણ ખતમ થઇ જાય છે. જયારે આપણે પેલા બીજા કાયદાઓ(તકનીક)ને બરાબર ના અનુસરી શકીએ શકીએ ત્યારે આપણું વિમાન હવામાંથી સીધું જ જમીન પર આવી પડે. તે બતાવે છે કે ગુરુત્વાકર્ષણ તો હતું જ. કોઈ અમર એટલે કે મરણ રહિત નથી. અશ્વત્થામા અને બીજા ૨-૩ જણ વિશે કહેવાય છે કે તેઓ અમર થઇ ગયા એટલે કે તેમનું મૃત્યુ થયું જ નથી. જેનો કોઈ પુરાવો નથી. અને માની પણ લઇએ કે તેઓ અમર થઇ ગયા તો આ આજ દિન સુધી અબજો માનવો જન્મ્યા અને મરી ગયા, તો તેમાં આ ૨-૩ અપવાદ જે કુલ સંખ્યાના ૦.૦૦૦૦૦૦૦૦૧% પણ ના થાય. તેની શું કિંમત? વળી, તે બધા જ જન્મ્યા હતા. તમે જેને ભગવાન માનો છો તે બધા જ (મહામાનવો) જન્મ્યા અને મૃત્યુ પામ્યા છે. તો આ કાયદા પૂર્ણપણે નિશ્ચિત છે તેમ સમજાય છે.

આપણે કુદરતના કાયદાની અંદર જીવીએ છીએ અને તે સત્ય ક્યારે પણ બદલી શકાય તેમ નથી તો આપણે તેને સ્વીકારવું જ રહ્યું અને માનવ આ નિયમોને જેટલી ચોકસાઈથી સમજી શકે અને તેને સ્વીકારીને તેને અનુરૂપ જીવન બનાવી શકે તેટલું જ માનવના હિતમાં છે. કુદરતના કાયદાની અંદર આપણું જીવન છે અને તેમાં જીવતા આપણા માટે, કોઈ પણ વસ્તુ માટે માનવે બનાવેલો કાયદો ત્યારે જ જરૂરી બને જયારે સમજદારી નાશ પામે. નિયમો હોવા જ જોઈએ. નીયમો હમેશા જ જરૂરી વસ્તુ છે પરંતુ કાયદા નહિ. નિયમ સ્વૈચ્છીક હોય, માનવનિર્મિત કાયદો એ ફરજીયાત અને દંડ પર આધારિત હોય. અને માનવની સમજદારી નાશ પામે તો કાયદો પણ શું? સમજદારી વગર માનવનિર્મિત કાયદાઓ શું સારું માનવજીવન બનાવી શકે? ક્યારેય નહિ. માનવ કાયદા બનાવે તો સમજવું કે મૂર્ખતાની શરૂઆત થઇ. અને જે હાલમાં છે. માનવે બનાવેલા બધા જ કાયદાની અંદર તે પોતે જ છટકબારીઓ બનાવશે. માનવ નિર્મિત કાયદાઓથી શું સમસ્યાઓ હલ થઇ ગઈ કે કાબુમાં આવી? અરે, સમસ્યાઓ તો કાબુમાં નથી જ આવી પરંતુ જીવનના ગૂંચવાડા અનેકગણા વધી ગયા. વળી, કાયદાનો ઉપયોગ કહેવાતી રીતે સુવ્યવસ્થિત સંચાલન માટે બનાવ્યા છે તેમ તમને કહેવામાં આવે. પણ ખરેખર? ના. કાયદાનો મોટે ભાગે ઉપયોગ કેટલાક લોકો પોતાના હાથમાં સત્તા રાખીને બીજાઓને કાબુમાં રાખવા અને પોતાની ઈચ્છા મુજબ બધાને ચલાવવા એટલે કે તેમને ગુલામ બનાવવા માટે જ વાપરે છે. કોઈ એક વ્યક્તિ એમ કહે કે કાલથી આ વસ્તુ આ રીતે જ ચાલશે એટલે કે કાલથી તેની વિરુધ જે કરે તે બધા જ ગુનેગાર. કાલથી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો કોઈ કામની નહિ, બસ આટલું કહેવું પુરતું છે. આ માત્ર સમજવા માટે એક ઉદાહરણ છે. આવા હજારો ઉદાહરણ મળી શકશે. સાર તરીકે, માનવ નિર્મિત કાયદો એટલે સમજદારીનો નાશ, મૂર્ખતા અને ગુલામીની શરૂઆત.


કેમ કે કુદરતે આપણને દરેકને અનન્ય સર્જ્યા છે તેથી કોઈ ને કોઈ બાબતે આપણા વિચારભેદને લઈને દરેક બાબતોમાં ક્યાંક નાની મોટી સમસ્યાઓ સર્જાવાની પૂરે પૂરી શક્યતા છે. જે ઘણું ખરું ઝગડાનું સ્વરૂપ પણ લઇ લે છે. જે વ્યક્તિ આ ઝગડામાં હોય તેનું મન ઘણુંખરું અહમ અને પૂર્વગ્રહથી બંધાઈ જાય છે અને તેથી તે પૂર્ણપણે ખુલીને વિચારી ના શકે  અથવા અહં ટકરાવને લીધે ઝગડાનો અંત ના આવી શકે.  એક સ્વસ્થ માનવ સમાજના નિર્માણમાં આ વસ્તુનો  ઉકેલ સહેલાઈથી અને ઝડપથી આવવો જોઈએ. ક્યાં તો ઝગડો થવાની શક્યતાઓને નહીવત કરવી જોઈએ અથવા ક્યાં તો ઝગડો શરુ થવા જેવો લાગે ત્યાંથી જ તેને અટકાવવા, નિવારવાના પગલા લેવાના શરુ થઇ જવા જોઈએ. આ ઝગડાના સમાધાન માટે ૩ પ્રકારના વ્યક્તિઓ જોઈએ. એક જે તમને સારી રીતે જાણતા હોય, બીજા જે આ ઝગડાને સારી રીતે જાણતા હોય કે સાક્ષી હોય. ત્રીજા જે સારી વૈચારિક અને નિર્ણય શકતી ધરાવતા હોય જે આ બહોળા સમાજની માનસિકતા સાથે સમાધાનના મૂળને સમજતા હોય, જે પ્રેમ આધારિત સમાજ રચનાના મૂળને સમજતા હોય. તેમના સહયોગ વડે આ વીસંવાદીતતાનો સાચો ઉકેલ આવી શકે. અને આ બધા બને તેટલો જલ્દી ઝગડાના ઉકેલ લાવવા પ્રવૃત્ત થાય.

મારી પાસે ખુબ ઊંડાણપૂર્વકની માહિતી નથી પરંતુ જે છે તેના આધારે એક વાત રાખવા માંગું છું. પહેલાના ભારતીય સમાજમાં ગ્રામ પંચાયતની રચના થયેલી જે ગામને લગતા મહત્વના નિર્ણયો અને આવા ઝગડાના નિકાલ માટે કામ કરતી. જ્યાં ગામના કેટલાક સમજદાર વડીલો ત્યા બેસીને સામ સામે પ્રશ્નોત્તર અને ચર્ચા કરીને દરેક બાબતનો યોગ્ય નિર્ણય બને તેટલો સત્વર લાવવાની કોશિશ કરતા. અને તે ગામ કે તે માનવ સમુદાય તે નિર્ણયને માનપૂર્વક સહેલાઈથી સ્વીકારી લેતો. સમાજ જે તે વ્યક્તિ, પોતાની ભૂલ સ્વીકારી લે તો તેને સામાન્ય સજા સાથે પોતાને સુધારવા માટેનો મોકો પણ આપતા જે ખુબ જ સારી વાત હતી. સામાજિક રીતે વ્યક્તિને બેદખલ કરવો કે તે વ્યક્તિ સાથે સામાજિક આદાનપ્રદાન બંધ કરી દેવું તે મોટે ભાગે સજા તરીકે રહેતું. બીજી રીતે કોઈ હિંસાત્મક પગલા નહોતા લેવાતાં. સારી વાત એ હતી કે જે વડીલો નિર્ણય લેવા બેસતા તે એક નહોતા પણ ૫ કે તેથી વધુ રહેતા અને તેમાં પણ તેઓ જે લોકો ગામમાં તટસ્થ નિર્ણય માટે વર્ષોથી જાણીતા હોય તેઓ રહેતા. તે સાથે બીજી સારી વાત એ હતી કે તેઓ ઝગડામાં સામેલ બંને તરફના વ્યક્તિઓને વ્યક્તિગત રીતે વર્ષોથી ઓળખતા હોવાથી તેઓ શું કરી શકે અને ના કરી શકે તે જાણતા અને તેમને માટે યોગ્ય સજા કે નિર્ણય શું હોય તે પણ સહેલાઈથી નક્કી કરી શકતા. તે પદ્ધતિ આદર્શ ના હોવા છતાં ખુબ સારી હતી. તે સમયમાં આખો સમાજ સામાજિક નિયમો માટે જાગૃત ના હોવા છતાં તે પધ્ધતિ ખુબ સારી રીતે કામ કરતી હતી.

અત્યારના સમયમાં ભારતમાં અંગ્રેજો ગયા પછી જે બંધારણ બનાવવામાં આવ્યું તેના મુજબની કાયદાકીય ન્યાય પધ્ધતિ અમલમાં છે અને જે ખરેખર ખુબ જ અયોગ્ય કે હાસ્યાસ્પદ છે. ઉપર કહેલી બાબતો જ્યાં મોટે ભાગે લાગુ પડતી નથી. જે નિર્ણય કરવા બેઠો છે તે એક જ ન્યાયાધીશ હોય. વળી તે ન્યાયાધીશ ફરિયાદી કે આરોપી આ બંને  વ્યક્તિઓને દુર દુર સુધી કોઈ પણ રીતે જાણતો નથી હોતો. સાક્ષી તરીકે રજુ કરેલા લોકો પણ અયોગ્ય કે નકલી હોઈ સકે તેવું હાલની વ્યવસ્થામાં ચોક્કસ બને છે. જેની જજ ને કંઈ જ ખબર નથી હોતી. સજા અહીં આકરી કેદ હોય છે અને સુધરવાનો મોકો લગભગ નથી જ અપાતો. નિર્ણય કરનાર જજ પણ સામાજિક રીતો સાથે કેટલો જોડાયેલો છે, તેને દોશી અને નિર્દોષ વચ્ચે અંતર જોતાં આવડે છે કે નહીં અને તેની નિર્ણય-શકતી કેટલી યોગ્ય છે તે પણ હમેશા માટે પ્રશ્નાર્થ છે. જજની મૂર્ખતા અને સારા વકીલના આભાવે માત્ર કાયદાકીય રીતે ઘણી વાર નિર્દોષ વ્યક્તિ દોશી સાબિત થાય છે જે આ નવી પદ્ધતિની નબળાઈ છે. કેમ કે આ રૂપિયાની દુનિયા છે અને  કોઈ એક બનાવ કે ઝગડાના નિર્ણય કરવા માટે એક જ મુખ્ય વ્યક્તિ ( ન્યાયાધીશ ) હોવાથી તેને ખરીદી લો તેની સાથે તેના નીચેના ક્લાર્ક, સરકારી વકીલ  વગેરેને પણ ખરીદી લો, તો નિર્ણય તમારા તરફી આવી શકે છે. જ્યાં કોઈ ઝગડામાં કોઈ સાચો અપરાધી છે કે નહિ તે દરેક વખતે સાબિત થઇ શકતું નથી. તે સાથે  નિર્ણય આવવામાં ઘણો જ લાંબો સમય લે છે. મતલબ કે આ ન્યાયપધ્ધતિ સાચી નથી. તેમાં ક્યારેક નિર્દોષ વ્યક્તિ પણ નિર્દોષ સાબિત થવા સુધી ખુબ લાંબો સમય જેલમાં વિતાવે છે. અનેકવાર ગુનો કરી ચુકેલા વ્યક્તિઓ દરેક વખતે જામીન પર કે પુરાવાના અભાવે  છૂટી જાય છે કે પેરોલ લઈને બહાર ફરતા હોય છે. કોર્ટમાં એક પણ જવાબ ગુનેગારે આપવાનો હોતો નથી તેના બધા જ જવાબ તેનો વકીલ આપે છે. આ કાયદાકીય પદ્ધતીની તે એક સૌથી નબળી કડી છે.


આજના સમયમાં જુઓ તો એક વ્યક્તિ પોતાની જરૂરિયાત કરતાં વધારે સંપત્તિ ભેગી કરીને બેઠો છે અને બીજો ખુબ સામાન્ય જીવન માટેની પ્રાથમિક જરૂરિયાત પૂરી કરવામાં પણ નિષ્ફળ જાય છે તેવા સમયમાં તે શું કરશે? તે પેલા ભેગું કરીને બેઠેલા વ્યક્તિના ઘરમાંથી લઈને પોતાની જરુરીયાત પૂરી કરવા માટે કોશિશ કરશે. અને આપણે માનવ કાયદાની ભાષામાં તેને ચોર એટલે કે ગુનેગાર કહીશું તેને પકડીને સજા આપવાની કોશિશ કરીશું. તમને આ બરાબર લાગે છે? હા, લાગશે જ. હવે સમજીએ અહી શું ખોટું છે. આપણી સમાજ વ્યવસ્થા એવી છે કે આપણે એક વ્યક્તિની સામાન્ય જરૂરિયાત પૂરી કરવામાં અક્ષમ બન્યા અને ત્યારે તે વ્યક્તિને નાછૂટકે પોતાના જીવનને બચાવવા માટે ચોરીનો સહારો લેવો પડ્યો.



આ નાનો વીડિઓ આ વાતને સમજવા પુરતો છે. https://youtu.be/luB9FYIPgNI


આજે પણ જુઓ તો કેટલાય એવા કુટુંબો છે જેમની પાસે ૧૦૦૦ એકર કે તેનાથી ઘણી વધારે જમીન છે. માનવે બનાવેલા કાયદામાં તેમને તે વારસામા મળેલી છે. અને કેટલાય એવા પરિવારો છે જેમાં ૧૦ સભ્યો હોય વારસામાં ઝાઝી સંપત્તિ ના હોય, વર્ષોથી ખેતી જ તેમનો મૂળ વ્યવસાય હોય અને માત્ર ૧ એકર જેટલી જ જમીન હોય. આવું કેવી રીતે? હવે કદાચ સમજાશે કે માનવ કાયદો બનાવે એટલે મૂર્ખતા શરુ થઇ. કાયદો જેટલો ન્યાય કરવા માટે વપરાય છે તેના કરતા અનેકગણો અન્યાય પેદા કરવામાં કે અન્યાયને ઉભો રાખવામાં વપરાઈ રહ્યો છે. સમાજમાં જેટલા ચોર છે તેમાંના ૯૦% ચોર પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ચોરી કરે છે અને બાકીના ૧૦% જેઓને વારસામાં ચોરી કરવાનું મળ્યું છે, માનસિક બીમાર જેવા છે કે સફેદ ચોર (રાજકારણીઓ અને તેમના જેવા બીજા) છે એટલે કે આ ૧૦% ચોર જરૂરિયાત પૂર્તિ કરતાં બીજા મક્સત માટે ચોરી કરે છે. સમાજમાં પહેલાં પેલા ૯૦% ચોર લોકો અને તેવા બીજા લોકો કે જેઓ જરૂરિયાત પૂર્તિ ના થાય તો પણ ચોરી નથી કરતા, તેવા લોકોના જીવન વ્યવસ્થિત ચાલે તે માટે વ્યવસ્થા કરાય અને ત્યાર બાદ પેલા બચેલા ૧૦% વારસાઈ ચોર અને બીજા પેલા સફેદ ચોર લોકોની માનસિક બીમારી ઠીક કરવા તેઓમાં સમજદારીના બીજ રોપાય.
Authentication: કાયદાકીય રીતે પ્રમાણિત કરવું : કોઈ પણ વસ્તુ મારી છે તે નક્કી કરવા આજના યુગમાં આ પધ્ધતિ વપરાય છે જેમાં નિયમોનું પાલન કરતા કાયદાકીય રીતે કાગળો ઉપર લખાણ  અને  સહી વગેરે કરવાથી તે શક્ય બને છે. 

અત્યારે સમાજમાં તે લગ્ન માન્ય છે જે કાયદાકીય રીતે થયેલા છે. જો કાયદાકીય લખાણ થયેલા હોય તો કાયદાકીય રીતે જે તે ૨ વ્યક્તિઓ એક બીજા સાથે પરણિત કહેવાય છે. તેવું જ સપત્તી માટે છે; જો કાયદાકીય લખાણ અને સહી સાથે કાગળો હોય તો તે સંપત્તિ તમારી કહેવાય છે. આ પદ્ધતિની સૌથી મોટી ભૂલ એ છે કે વ્યક્તિ ચાહે કે ના ચાહે પણ કાગળ ઉપર જે લખેલું હોય તે જ સાચું કહેવાય છે. વ્યક્તિઓ દિલથી ના જોડાયેલા હોય તો પણ કાગળના લખાણો પર સહી થયેલી હોય તો તેઓ એકબીજાના પરિણીત સાથીઓ કહેવાય છે. દિલના સંબંધ કરતા કાગળના સંબંધ વધુ મહત્વના કહેવાય છે. એક બીજાને બાંધી રાખવા ( મરજી કે વિના મરજી ) વપરાતી આ પદ્ધતિ આજે માનસિક રીતે આપણે સ્વીકારી લીધી છે. જયારે પરણીને સાથે ૨ વર્ષ રહીને બરાબર સમજી ચુક્યા હોય કે જે તે વ્યક્તિ સાથે મારું દિલ મળતું નથી અથવા તૂટી ગયું છે અથવા સાથે રહેવામાં બિલકુલ ફાવટ નથી તો કાયદાકીય રીતે થયેલો કાગળ પરનો કરાર ( કાયદાકીય લગ્ન ) તોડવા ( છૂટાછેડા ) માટે પણ 6 મહિના કે 2 - 3 વર્ષનો બીજો સમય લાગી જાય છે. નાનપણથી દિલના સંબંધો બાંધવાનું આપણને નથી શીખવાડવામાં આવતું એટલે જ જયારે લગ્નની વાત આવે છે ત્યારે સંબંધો ટકાવી રાખવા માટે આપણે કાયદાકીય શરતો અને કાગળોનો સહારો લઈએ છીએ છે જે મોટે ભાગે સફળ થતો નથી.  

માનવે હજારો કાયદાઓ અને તેની તેટલી જ છટકબારીઓ બનાવી છે. અને માત્ર આ માનવના કાયદાઓનો અભ્યાસ કરવા માટે ઘણા વર્ષો અભ્યાસ કરીને જેઓ કાયદાના નિષ્ણાત થાય છે તેઓ પણ કાયદાઓને પુરા જાણતા નથી. દરેક માનવ કાયદાથી પરિચિત હોવો જોઈએ. અહીં તો મૂળ કાયદાના નિષ્ણાત લોકો જ કાયદો ના જાણતા હોય ત્યાં સામાન્ય માણસનું શું? શું આ છે બુદ્ધિપૂર્વકની માનવ વ્યવસ્થા? વળી, કાયદા અને કાયદાની છટકબારીઓ વડે આપણે આખી વ્યવસ્થાને પાર વગરની ગૂંચવી નાંખી છે ને હજુ પણ ગૂંચવાતા જઈએ છીએ. એક કાયદાની છટકબારી બંધ કરાવ બીજો કાયદો અને બીજા કાયદાની છટકબારી  બંધ કરવા ત્રીજો કાયદો. એક ભૂલને સુધારવા બીજી ભૂલ અને તેને સુધારવા ત્રીજી અને તેને સુધારવા ચોથી તેવી અનેકગણી મોટી હારમાળા સર્જી છે. જીવનને સરળ બનાવવું તે મક્સત છે કે ગુચવવું તે? શું તેનાથી સારું માનવજીવન બન્યું? શું તેનાથી ચોરી અટકી? ના, જેટલા કાયદા વધ્યા છે તેટલા જ ગુના વધ્યા છે. જીવન સરળ બનાવવાના દેખાડા હેઠળ તેને હદ વગરનું ગૂંચવી નાંખ્યું છે. શું આ છે આપણા જીવનનો હેતુ?

કુદરતના કાયદાની અંદર સારા માનવજીવન માટે આપણે સામુહિક સમજદારીની જરૂર છે. નહિ કે માનવસર્જિત કાયદાઓની. સારું જીવન સમજદારીથી શક્ય બને કાયદાથી નહિ.

----

ઓશોના ન્યુઝલેટરમાંથી એક નાનકડી વાત....

વર્તમાન કાયદાકીય પદ્ધતિને સુધારવા માટે તમારું શું સુચન છે?

તમે મને પૂછો છો, કાયદાકીય પદ્ધતિમાં શું સુધારા કે શું બદલાવ લાવવો જોઈએ? જે હું જોઉં છું તે, આ મૂળભૂત રીતે જ ખોટું છે. તેમાં એક સંપૂર્ણ ક્રાંતિથી ઓછા કશાની જરૂરિયાત મને લાગતી નથી, કેમ કે સદીઓથી તમે કોર્ટ, જજ, કાયદાકીય નિષ્ણાતો અને કાયદાઓની  સંખ્યામાં વધારો કરી રહ્યા છો, અને કાયદાઓ વધુ ને વધુ ગૂંચવાડા ભર્યા થતા જાય છે. અને ગુનેગારોની સંખ્યામાં ધરખમ વધારો રહી રહ્યો છે. એક બાજુ આ બધી કાયદાકીય પદ્ધતિ વધી રહી છે તો બીજી બાજુ ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, તમારી કાયદાકીય પદ્ધતિ કરતાં ૧૦ ગણો વધારે. તમે તેને પહોંચી નથી વળી રહ્યા. મૂળભૂત રીતે કૈંક ખુબ ખોટું છે.   


જે હું જોઉં છું, પ્રાથમિક રીતે આ આખી કાયદાકીય પદ્ધતિ તે બદલો લેવા પર આધારિત છે, તે સામાજિક સહાનુભુતિ પર આધારિત નથી. તમારી આખી કાયદાકીય પદ્ધતિ એ બદલાની પદ્ધતી છે. આ સમાજ વ્યક્તિને સજા આપે છે કેમ કે તે આજ્ઞાંકિત નહોતો, કેમ કે તે ટોળાને નહોતો અનુસરતો, કેમ કે તે ટોળાનો હિસ્સો નહોતો, તેને પોતાની રીતે વ્યક્તિગત રીતે વર્તવાની કોશીસ કરી. તે પોતાની રમત પોતે રમતો હતો પોતાના નિયમોથી. વેરવૃત્તિ થી કોઈ ઉકેલ આવવાનો નથી, કારણ કે તમે સરખો જ  ગુનો કરી રહ્યા છો જે ગુનેગારે કર્યો છે. ચોક્કસપણે તમારી સાથે આખા સમાજનો સાથ છે. તેથી તમે જે સજા આપી રહ્યા છો તેને કોઈ પણ ગુનો  નથી કહેતું. પરંતુ કોઈ પણ પૂર્વગ્રહથી રહિત મગજ આ જોઈ શકે છે જે તમે કરી રહ્યા છો. એક પુરુષ બળાત્કાર કરે છે. એક પુરુષ લુંટ કરે છે. એક પુરુષ ખૂન કરે છે. ચોક્કસપણે કૈંક કરવું જોઈએ. પરંતુ સજા નહિ. કારણ કે જે માણસ બળાત્કાર કરે છે તે સીધી ભાષામાં સંભોગની વાતમાં અસંતોષને પામેલો છે. અને તમારા સમાજે તેને સંભોગમાં સંતોષ પામે તે માટે પુરતો મોકો આપ્યો નથી. 







Comments

Popular posts from this blog

Free E-Books Download Links

Why Don't I Earn Money?

Glimpse of Love Based World